ગૌતમ ઠાકર*/
રાજસ્થાનના રાજસમન્દ ખાતે 6 ડિસેમ્બર 2017 ના રોજ ધોળે દિવસે છડે ચોક જાહેરમાં 46 વર્ષીય મોહમ્મદ હાફઝરૂલ ને કેવળ તે મુસ્લિમ હોવાને કારણે જીવતો સળગાવી દેવાની ઘટના તથા 15મી ડિસેમ્બર 2017ના રોજ મધ્ય પ્રદેશના સતના શહેરમાં એક એવો બનાવ બન્યો હતો કે જેમાં ખ્રિસ્તી પાદરીઓ તથા સેમિનારમાં ભાગ લેનારાઓ ક્રિસ્ટમસ પ્રસંગમાં ભાગ લેવા વાજતે-ગાજતે જઇ રહ્યા હતા તે ટાણે તેમના ઉપર હુમલા કરાયા હતા અને તેમના વાહનને આગ લગાડવામાં આવી હતી. વસ્તુ-સ્થિતિની વિટંબણા એ છે કે જે ટોળાએ હુમલા કર્યા હતા અને આગ ચાંપી હતી તેમને ગિરફતાર કરવાને બદલે ખ્રિસ્તી પાદરીઓ ઉપર આરોપ લાગાવાયા હતા અને તેમની ધરપકડ કરાઇ હતી.
ખ્રિસ્તીઓના ઉજવણી કાર્યક્રમ ટાણે, હુમલાનો આવો જ બનાવ પ્રતાપગઢ ખાતે તા. 19 અને 20 મી ડિસેમ્બર 2017ના રોજ બન્યો હતો જેમાં પોલીસને આગોતરી જાણ કરાયા છતાં આર.એસ.એસ. નેતાની આગેવાનીવાળા કથિત ટોળાએ પોલીસની ઉપસ્થિતિમાં ક્રિસ્ટમસ પૂર્વેની પ્રાર્થના સભા અને સમ્મેલનમાં હુમલા કર્યા હતા. છેલ્લા સાડા ત્રણ વર્ષમાં એન.ડી.એ. સરકારના શાસનમાં નફરત, અસહિષ્ણુતા તથા લઘુમતી કોમની વ્યક્તિની હત્યા કરવાની રાજનીતિ કેટલી કથળી છે તે ઉજાગર કરે છે. આવા નફરતપૂર્ણ ગુનાઓનું એક નોંધપાત્ર લક્ષણ એ છે કે એન.ડી.એ. સરકાર આ બાબતે અસંવેદનશીલ તથા આવા બનાવોને વખોડતી નથી અને બહુમતી કોમના આગેવાનોને આવી હિંસાની પ્રવૃત્તિઓ બંધ કરાવવા જણાવતી નથી.
આવા હિંસાના બનાવો જેટલાજ અન્ય ચિંતાના કારણો, કેન્દ્ર સરકારે કે જેણે મે, 2014માં સત્તાના સુકાન સંભાળ્યા ત્યારથી દેશને ઘમરોળિ રહ્યા છે, તેવા ચિંતા પ્રેરક બનાવો દ્રશ્યમાન રહયાછે જે નીચે મુજબ છે.
લોકતાંત્રિક સંસ્થાઓનો અનાદર
મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર, વ્યવસ્થિપણે, સતત રીતે, લોકતાંત્રિક સંસ્થાઓ અને પ્રક્રિયાઓનો અનાદર કરતી આવી છે. ચાવીરૂપ બંધારણીય સંસ્થાઓ જેવી કે ‘નિર્વાચન આયોગ’ થી લઈને કેન્દ્રિય તકેદારી આયોગ સુધીના ચાવીરૂપ હોદ્દાઓ ઉપર જેમ કે સી.બી.આઈ. ના અતિરિક્ત નિર્દેશક અને અન્ય સંસ્થાઓમાં થયેલ નિમણૂક વિવાદો થી ઘેરાયેલી છે. જે રીતે રીઝર્વ બેન્ક ને બાજુ હડસેલી નોટબંધીના નિર્ણય ની જાહેરાત થઈ અથવા તો જી.એસ.ટી. ની અમલવારી માં કેન્દ્ર સરકારે સુસ્થાપિત લોકતાંત્રિક પ્રણાલીની સતતપણે ઉપેક્ષા કરી છે, ન્યાયાધીશોની નિમણૂકમા વિલંબ અથવા સર્વોચ્ચ યા તો વડી અદાલતોમાં ન્યાયાધીશની નિમણૂક સબંધી ‘મેમોરેંડમ ઓફ પ્રોસીજર’ નું આખરીકરણ કરવામાં અને ‘નાણાં વિધેયક’ જેવા ચાવીરૂપ ખરડાને પ્રસ્તુત કરવામાં અને તેમને સંસદ સમક્ષ ચર્ચા-વિચારણા માટે રજૂ કરવામાં સંસ્થાઓ અને સંસ્થાકીય પ્રક્રિયા પ્રત્યેના અનાદર અથવા ઉપેક્ષા જણાઈ આવેલ છે.
કાયદાના શાસનને ખોરવવું
કેન્દ્ર સરકાર ગણતરીપૂર્વક અને વ્યવસ્થિપણે કાયદાનું શાસન ખોરવવા માંગે છે અને ફોજદારી કાયદા અને પદ્ધતિની હાંસી ઉડાવે છે. સી.બી.આઈ., આવક વેરા સત્તાવાળા અને એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓ દ્વારા કેન્દ્ર સરકારની વિરુદ્ધના રાજકારણીઓ અને રાજકીય જૂથો ઉપર લક્ષિત બનાવી ને છાપાં મારવા અને જેઓએ મોટાં નાણાકીય ગોટાળા આચર્યા હોય તેઓ સામેના આક્ષેપો ને નજર-અંદાજ કરવા વિગેરે દર્શાવે છે કે કઈ હદે કાયદા દ્વારા અધિકૃત સંસ્થાઓ સ્વતંત્ર, નિષ્પક્ષ અને ન્યાયીપણે અમલવારી કરવાને બદલે રાજકીય નેતાગણ ના આશ્રિત બનીને કાયદાના શાસનનો ભંગ કરી રહ્યા છે.
અસમ્મતિના સૂરને ગુનાખોરી તરીકે ખપાવવા અને હક્ક-અધિકારના રક્ષકો અને હિમાયતિઓ ને નિશાન બનાવવાનું વલણ
દેશભરમાં વસવાટ કરતાં હક્ક – અધિકાર ના રક્ષકોને નિશાન બનાવવાની વૃત્તિ ચિંતાજનકપણે વધી રહી છે. આવું વલણ એટલી હદે વકર્યું છે કે હવે એવો સમય આવ્યો છે કે “રક્ષકોને રક્ષો’ (to Defend the Defenders) જેવા કાર્યક્રમ ચલાવવાની નોબત આવી છે જેથી કરીને માનવ અધિકારોના કર્મશીલો અને અન્ય હક્ક-અધિકારના કર્મશીલોના દમન, તેમને ખામોશ કરી મૂકવા અથવા પરાજિત કરવા સામે ટેકો આપી શકાય.
આ બધા વલણોને એક સાથે મૂકીએ તો તે બધાજ આપણાં લોક તંત્ર અને લોકતાંત્રિક પ્રક્રિયાઓ સામે ખતરારૂપ જણાય છે. નફરતની રાજનીતિ અને હિંસાની વૃદ્ધિને કેવળ તહોમતનામું ઘડવા અથવા લઘુમતી અને હાંસિયામાં ધકેલાઇ ગયેલી કોમો માટે રક્ષણ પૂરું પાડવા માત્રથી નાથવાનું પૂરતું નથી પણ લોકોના વલણ અને માનસિક વૃત્તિમાં બદલાવ આણવા માટે લાંબાગાળાના ઝુંબેશાત્મક કાર્યક્રમ ચલાવવાની આવશ્યક્તા છે જેથી સહિષ્ણુતા, સાંપ્રદાયિક સદભાવના અને સહાનુકંપા તથા એકતાની ભાવના જે આપણી સહિયારી સામાજિક અને સાંસ્ક્રુતિક ધરોહરના અંગભૂત તત્વો હતા તેને ઉજાગર કરી શકાય. પડકારો ડરામણા છે પરંતુ ભારત ખાતેના માનવ અધિકાર આંદોલનના આધાર-ચિહ્ન નક્કી કરનાર લક્ષ્યો પૂરા પાડે છે. આપણે સહુએ વર્તમાન, ઐતિહાસિક સમયની માંગને પહોંચી વળવાં આગળ આવવું પડશે અને એમ પુરવાર કરવું પડશે કે “અમો પહોંચી વળીશુ.”
—
*પિયુસીએલ ના રાષ્ટ્રીય મહામંત્રી વી સુરેશની નોંધ ના આધારે