
ડો આંબેડકર વેચાણ પ્રતિબંધ સમિતિ, ગુજરાત/
અનામત બેઠક પર ચૂંટાયેલા લોકસભાના, રાજ્યસભાના અને વિધાનસભાના સભ્યોને તેમને દલિતોના હિતને ધ્યાનમાં રાખીને તેમણે કરેલી કાર્યવાહી પર પ્રશ્નો પૂછવાનો કાર્યક્રમ શા માટે?
૧. આજથી ૯૮ વર્ષ પહેલા ૧૯૧૯ની સાલમાં ભારતના ઇતિહાસમાં પહેલીવાર રાજકીય સત્તામાં પ્રતિનિધત્વ દ્વારા વર્ણવ્યવસ્થાને હરાવવાનો અનોખો પ્રકલ્પ ડો. આંબેડકરે દુનિયા સમક્ષ રજુ કરેલો. અલગ મતાધિકાર દ્વારાજ દલિતોનું આઝાદ ભારતના રાજકારણમાં અસરકારક પ્રતિનિધિત્વ થઇ શકશે તે માટે તેમણે આંદોલન ચલાવેલું. તેમાં તે સફળ પણ થયા. કમનશીબે ગાંધીજીના આમરણાંત ઉપવાસ, ડો. શ્યામાપ્રસાદ મુખરજીના નેતૃત્વમાં હિન્દૂ મહાસભાએ દલિત નેતાઓને ડો. આંબેડકરના સમર્થનમાંથી ખસી જઈ ડો. આંબેડકરને એકલા પાડી દેવાનો કરેલો વ્યૂહ અને દારુણ ગરીબાઈ, શિક્ષણનો અભાવ અને પરિણામે રાજકીય જાગૃતિના અભવથી પીડાઈ રહેલા બહુમતી દલિત સમાજની ડો. આંબેડકરની વાતને સમજવાની કે ટેકો આપવાની અસમર્થતાના કારણે ડો. આંબેડકરને અલગ મતાધિકારની વાતને પડતી મુકવી પાડી. એ વાત જગજાહેર છે કે દેશમાં ત્યારે મુસ્લિમ અને એંગ્લો-ઇન્ડિયન માટે અલગ મતાધિકારની વાતનો ગાંધીએ વિરોધ નહોતો કર્યો.
૨. સમાધાન તરીકે ડો. આંબેડકરે રાજકીય અનામતની વાત સ્વીકારી. દેશની ગણતરી હતી કે ભારતમાં દલિતોની પરિસ્થિતિ એટલી હદે બદલાઈ જશે કે દશ વર્ષ પછી દલિતો માટે રાજકીય અનામતની જરૂર નહિ પડે. આજે આઝાદી ના સિત્તેર વર્ષ પછી પણ રાજકીય અનામત દર દશ વર્ષે લંબાવવામાં આવે છે. કારણકે તમામ રાજકીય પક્ષ નિઃશંકપણે સ્વીકારે છેકે દલિતોની પરિસ્થિતિમાં ફરક પડ્યો નથી.
૩. ડો. આંબેડકરની એવી ઈચ્છા ન હતી કે સુરજ અને ચંદ્ર તપતા રહે ત્યાં સુધી રાજકીય અનામત દલિતો માટે ચાલુ રહે. તેમની ઈચ્છા એવી હતી કે રાજકીય અનામત દ્વારા એટલું અસરકારક દલિત પ્રતિનિધિત્વ ઉભું થાય કે જેથી અનામતની જરૂર જ ન પડે.
૪. ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામતની સફળતાને કારણે આધુનિક શિક્ષણ, સારી નોકરીઓ અને જાહેર જીવનના તમામ ક્ષેત્રોમાં દલિતોએ કાઠું કાઢ્યું છે ત્યારે દલિત યુવાનોમાં સ્વાભાવિકપણે એ રોષ દેખાય છેકે રાજકીય ક્ષેત્રે અનામત નીસફળ કેમ નીવડી રહી છે? શા માટે ચૂંટાયેલા દલિત પ્રતિનિધિઓ પોતાના સમાજ કરતા પોતાના રાજકીય પક્ષને વફાદાર બની રહ્યા છે? દલિતો પર થતા અત્યાચારો અને અધિકાર હનન સામે તે મૂંગા કેમ રહે છે?

૫. ભારતીય રાજકારણમાં પક્ષનું સંચાલન વિચારધારા કરતા વર્ણવ્યવસ્થાને આધારે વધુ થાય છે. આથી ‘સમાજ પરિવર્તન’ કરતાં ‘સમાજ સુધારા’ માં વધારે ધ્યાન અપાય છે. ડો. આંબેડકરની એ માન્યતા હતી કે એકમાત્ર દલિત પ્રતિનિધિત્વજ જ્ઞાતિવિહીન સમાજરચના માટે લડશે. કમનશીબે દલિત પ્રતિનિધિત્વ નીસફળ નીવડ્યું છે. પોતાના રાજકીય પક્ષના વાડામાંથી બહાર નીકળી ‘દલિત’ તરીકે સંગઠિત થઇ તેઓ ‘શા માટે હજુ આભડછે ચાલુ છે?’ ‘દલિતો પર શા માટે અત્યાચારોનો અંત આવતો નથી?’ ‘શા માટે માથે મેલું ઉપાડવાની પ્રથાનો અંત આવતો નથી?’ ‘અંદાજપત્રમાં દલિતોના વિકાસ માટેના નાણાં કેમ કપાઈ રહ્યા છે?’ જેવા પ્રશ્નો પર ભેગા થતા નથી.
૬. નાત-જાતના વાળા ચાલુ રહે તો જ વર્ણવ્યવસ્થા ચાલુ રહે અને નાત-જાત ના ચલણ માટે પેટા જ્ઞાતિવાદ ઉભો કરવો પડે. ૧૬.૫ ટકા માટે ધરાવતો દલિત સમાજ સંગઠિત થાયતો ભારતના તમામ રાજકીય પક્ષને ભારે પડે. આમ ન થાય તે માટે રાજકીય પક્ષને ચૂંટાયેલા દલિત પ્રતિનિધિઓ દ્વારાજ દલિતોમાં પેટાજ્ઞાતિવાદ વકરાવી દલિતની સંગઠિત તાકાતને નબળી પાડી દીધી છે. અમુક રાજકીય પક્ષ હવે તો ડો. આંબેડકરની પેટાજ્ઞાતિનો મુદ્દો ચગાવવામાં વ્યસ્ત છે.
૭. અમુક પક્ષને ‘કોંગ્રેસ-મુક્ત’ ભારત જોઈએ છે અને અમુકને ‘ભાજપ-મુક્ત’ ભારત. ગૌતમ બુદ્ધ, કબીર, ફૂલે, સાહૂ મહારાજ અને ડો. આંબેડકર જેવા જ્ઞાતિવિહીન સમાજરચનાના હિમાયતી આદ્ય મહામાનવની વિચારધારાને વરેલ દલિતોને ‘જ્ઞાતિ-મુક્ત’ ભારત જોઈએ છે. એટલે જ ડો. આંબેડકરે પોતાની પહેલી મુલાકાત વખતે ગાંધીજીને સવાલ કરેલો: કોંગ્રેસના સભ્ય બનવા તમે ખાદી પહેરે તેવાને સભ્ય બનાવવાનો આગ્રહ રાખો છો પણ તે અશ્પ્રુશ્યતા પાળે નહિ તે વાતને કેમ માપદંડ બનાવતા નથી?
૮. ગામડે ગામડે દલિત આ કાર્યક્રમથી ખુશ છે કારણ તે રાજકીય અનામત તે કોઈ વ્યક્તિ કે પક્ષની જાગીર બની જાય તે સહન કરવા તૈયાર નથી. સવિશેષ યુવાનોમાં અન્યાય વિરુદ્ધ અકળામણ છે. આ આંદોલન દ્વારા દલિત આક્રોશને હકારાત્મક માર્ગે વાળવાનો ઈરાદો છે.
૯. રાજકીય પક્ષ દલિતોને ડો. આંબેડકરના પૂતળામાં વ્યસ્ત રાખી તેમના આર્થિક-સામાજિક-રાજકીય અધિકારોથી વંચિત રાખવા માંગે છે. કેન્દ્રીય અંદાજપત્રમાં દલિતોને ૩૨૦૦૦ કરોડ રૂપિયા ઓછા ફાળવી દલિતોનું તે તરફ ધ્યાન ન જાય તે માટે ડો. આંબેડકરના સ્મારક પાછળ ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચી તેમની આંખમાં ધૂળ નાખી રૂપિયો આપી સોનાની કલ્લી કાઢી લેવાનો ઘાટ ઘડે છે અને છતાં દલિત સાંસદો અને વિધાયકો ચૂપ બેસે છે.
૧૦. આ કાર્યક્રમ કોઈ રાજકીય પક્ષ વિરોધી નથી. આ કાર્યક્રમ માત્ર ને માત્ર દલિત સમાજને પોતાના રાજકીય અધિકારો અંગે જાગૃત કરવાનો છે. દલિત સમાજ ઈચ્છે છે કે અનામત દ્વારા એવાજ લોકો ચૂંટાવા જોઈએ જે પોતાના સમાજને વફાદાર રહે.