પ્રશાંત દયાળ/
ઉનામાં જઈ કઈ થઈ રહ્યુ તે પોલીટીકલ લાગે છે, આવુ નિવેદન સહજ રીતે મને રોજ મળતા દસમાંથી છ વ્યક્તિઓ કહી દે છે.કારણ સામાન્ય લોકોના મનમાં એક સવાલ માત્ર ઉનામાં કોઈ દલીતને મારવામાં આવે અને આખુ ગુજરાત ભડકે બળવા લાગે.. આ ઘટના રાજકિયપક્ષના ઈશારે થઈ રહી હોય તેવુ લાગે છે. અત્યારે ભાજપ સત્તા સ્થાને છે અને 2017ની સામે ચુંટણી આવી રહી છે, ત્યારે કોંગ્રેસ અને આપ સહિત અનેક પક્ષો અને સ્થાનિક રાજનેતાઓ તેનો લાભ લેવા આ આંદોલનને પવન ફુકવાનું કામ કરે છે તેની ના પણ નથી, પણ આંદોલન રાજકિય છે તેવુ કહી ભાજપ અને ગુજરાતના બીનદલિતો હાથ ખંખેરી નાખે તે પણે વાજબી નથી.
એક મીત્ર સાથે આ મુદ્દે જ ચર્ચા નિકળી ત્યારે મેં મારો તર્ક આપતા કહ્યુ ઉનાની ઘટના એક નિમિત્ત બની છે. પણ વર્ષોથી મનમાં ભરાયેલો ગુસ્સો હતો તેની તરફ સરકાર અને સમાજે જોયુ જ નહીં. અનામત આપી દીધી તેમ કહી આપણે બધા જાણે દલીતો ઉપર ઉપકાર કરી નાખ્યો તેવો વ્યવહાર કરીએ છીએ, કયારેક કોઈ પણ દલીતને માઠુ લાગે તેવી ભાષામાં કહીએ છીએ કે અનામત આપી તો પણ આ સુધર્યા જ નહીં અને ત્યાંને ત્યાં રહ્યા. પણ અનામતને કારણે કોઈ દલીત સ્કુલ-કોલેજમાં જઈ શકયો અથવા અનામત હતી તો કોઈ દલીતને નોકરી આપવાની તંત્રને ફરજ પડી. પણ એક સવર્ણના મનમાં દલીત પ્રત્યે રહેલી ધૃણા ત્યાંની ત્યાં જ રહી.
તેના પરિણામે આજે પણ જે ગુજરાતને આપણે વિકાસશીલ કહીએ છીએ તે જ ગુજરાતમાં દલીતો માટે પીવાના પાણીના કુવાઓ તો ઠીક પણ મૃત્યુ પછી અગ્ની સંસ્કાર માટેના સ્મશાન પણ અલગ છે.સરકારી આંકડા પ્રમાણે ગુજરાતના 7 જિલ્લાઓના 13 મંદિરોમાં આજે પણ દલિતોને પ્રવેશ મળતો નથી, રાહુલ ગાંધી અને અમીત શાહ દલીતના ઘરે જમી આવે તેનાથી કોઈ દલીતને ફેર પડયો નથી, કેટલાય ગામો એવા છે જયા દલીત યુવકનું લગ્ન હોય તો તે વરઘોડો નિકળી શકતો નથી. દલિત માનવ અધિકાર કાર્યકર્તા કૌશીક પરમારે કરેલી આઈટીઆઈના આંડકા તો વધુ ચૌકવનારા છે સરકારી જવાબ પ્રમાણે ગુજરાતના 26 જિલ્લાના 216 ગામોમાં દલીતો પોલીસ રક્ષણ હેઠળ જીવે છે.
રોજ રોજ થતાં અપમાનની યાદી લાંબી છે, હમણાં જે વૃધ્ધા અવસ્થાએ પહોંચ્યા છે તેવા દલીતોએ પોતાની સાથે અપમાનીત ઘટનાઓને નસીબ માની સ્વીકારી લીધી હતી, પણ દલીત યુવાન નસીબને દોષ દેવાને બદલે અન્ય સમાજ પણ પોતાને માન આપે તેના માટે રસ્તા ઉપર ઉતરી આવ્યો છે. ઉનાની ઘટના પછી જે હિંસક ઘટનાઓ થઈ તે વર્ષો સુધી મનમાં દબાવી રાખેલા ગુસ્સાનું પ્રતિબિંબ છે. હિંસાને ન્યાયી ઠરાવી શકાય નહીં પણ તે કોઈ પણ સમુદાય દ્વારા આચરવામાં આવી હોય, તેમ છતાં દલીતોના ગુસ્સાનું નિદાન કરી તેની દવા કરવાની ચોક્કસ જરૂર છે.
એનડીટીવીના એક પ્રોગ્રામમાં મેં ઉત્તરપ્રદેશના દિલીપ દિવાનનો ઈન્ટરવ્યુ જોયો તે જન્મે દલીત અને કર્મે મરેલા જાનવારોનું ચામડુ ઉતારવાનું કામ કરે છે, હમણાં સુધી તેમણે હજારો મૃત ગાયોના ચામડા ઉતારવાનું કામ કર્યુ છે, તેમના જ શબ્દોમાં કહ્યુ લોકો અમને ધીક્કારે છે, પણ જો અમે અમારૂ કામ બંધ કરી દઈશુ તો ગટરમાં તમે રોબર્ટને ઉતારશો.
આ એક કડવી વાસ્વીકતા છે જે સમાજ વગર આપણે એક દિવસ પણ ચાલી શકે તેમ નથી, છતાં આપણે તેમને રોજ ધીક્કારીએ છીએ. કોઈને માન આપવુ કે નહીં તે વ્યકિતગત બાબત છે. પણ કોઈ એક સમુદાયના લોકો ચોક્કસ કુળમાં જન્મયા તેના કારણે તેમને ધીક્કારમાં આવે તે કયારેય માન્ય થઈ શકે નહીં. કોણે કયાં કુળમાં અને કોના ઘરમાં જન્મ લેવો તે જન્મ લેનારના હાથમાં હોતુ નથી, નહીંતર હું પણ એક સામાન્ય સરકારી નોકરી કરતા બ્રાહ્મણના ઘરમાં જન્મ લેવાને બદલે કોઈ મહેલ અથવા ટાટા-બીરલાના ઘરે જન્મ લેતો.
—–
સૌજન્ય: http://pdgujarat.blogspot.in/