રજની દવે */
પર્યાવરણ અને કેન્સર અંગે અમદાવાદ ખાતે માનવીય ટેક્નોલૉજી ફોરમ અને અન્ય સંસ્થાઓ ધ્વારા તારીખ ૧૧ અને ૧૨ જુલાઇ, ૨૦૧૫ દરમિયાન યોજાઇ રહેલા બે દિવસના પરિસંવાદ પ્રસંગે આ વિષય અંગેના ‘અપ્રકાશિત’ અને ‘પ્રકાશિત’ લેખોનાં સંચયનો એક દળદાર ગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો છે. આ પુસ્તક પ્રગટ કરવા પાછળનો ઉદ્દેશ એવો છે કે લોકો જાણે કે કેન્સરનો ભોગ બનનારાનું પ્રમાણ વધી રહ્યું છે કે કેમ ?
અને જો વધી રહ્યું હોય તો તેના સીધા અને આડકતરા કારણો શું છે ? કેન્સરને અટકાવવામાં લોકોની શી ભૂમિકા છે ? તે સમજવાનું અગત્યનું છે. સરકારી નીતિઓ કેન્સર અટકાવવામાં મદદ કરે છે કે કેમ ? તે વિચારી જરૂર પડે નીતિ નિરધારકોનું ધ્યાન નાગરિકો અને નાગરિક સંગઠનોએ દોરવું પડે. આ મુદ્દાઓ અંગે લોકજાગૃતિ ઊભી કરવામાં આ ગ્રંથ ઉપયોગી થઈ પડશે તેવી આશા છે.
જાણીતા અર્થશાસ્ત્રી શ્રી રોહિતભાઈ શુક્લ આ ગ્રંથ અંગે પોતાનો પ્રતીભાવ આપતાં કહે છે કે “આ ગ્રંથમાં કેન્સર થવાના કારણો, તેના પ્રકારો અને સ્વરૂપો વગેરે વિશે જે જ્ઞાન હોઈ શકે તે પૈકી ભાગ્યે જ કોઈક મુદ્દો છૂટી ગયો હશે. આ ગ્રંથ કેન્સરના ક્ષેત્રના માત્ર સ્વદેશી જ નહીં પણ વિદેશી અને સમગ્ર દુનિયાના પ્રવાહોને સાથે સાંકડીને ચાલ્યો છે. જે આ ગ્રંથની સમૃદ્ધિ દર્શાવે છે.”
૨૮૮ પાનાનાં આ ગ્રંથમાં ૭૫ લેખો સમવાયા છે. કેન્સર એટલે શું ?, કેન્સર અંગેની આંકડાકીય વિગતો, કેન્સરના કારણો, તમાકુ અને દારૂને કારણે થતાં કેન્સર, કામને કારણે થતાં કેન્સર,કેન્સરનું મોટું પ્રમાણ હોય તેવા ભૌગોલીક વિસ્તારો, રસાયણોને કારણે થતાં કેન્સર, પ્રદુષિત હવાને કારણે થતાં કેન્સર, જનીન રૂપાંતરિત ખોરાક અને કેન્સર, પંજાબમાં રસાયણયુક્ત ખેતી અને કેન્સર, જીવનશૈલીને કારણે થતાં કેન્સર, ઈલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ અને કેન્સર વિગેરે વિષયો અંગેના લેખો છે. ૭૫ પૈકી ૫૦ જેટલા લેખો અંગ્રેજીમાં છે.
એક લેખ હિન્દીમાં અને બાકીના ગુજરાતીમાં છે જેથી વિવિધ રસરુચિવાળા વાચકો માટે ઉપયોગી થઈ શકે.
કેન્સર ક્ષેત્રે સંશોધન, ઉપચાર વિગેરે અંગે જે મહાનુભવોએ મોટું પ્રદાન કર્યું છે તેવા ડો. વી. શાંતા, ડો. સિદ્ધાર્થ મુખર્જી, રેચલ કાર્સન અને ડો. અનીલ અગરવાલને આ પુસ્તક અર્પણ કરવામાં આવ્યું છે. રૂ. ૧૫૦ની માફકસરની કિંમતમાં આ પુસ્તકનું આવરણ બહુરંગી છે.
કોન્ફેરેન્સ વિષે
એક જમાનામાં ટીબીનું નામ સાંભળતાં જ દર્દીના મોતીયા મરી જતા અને પરીવાર તે સભ્યના નામનું નાહી નાખતા. આજે વધુ ઓછે અન્શે એ સ્થીતી કેન્સરની છે તેમ કહી શકાય. કેન્સરનો“ક” સાંભળતાં જ દર્દી અને તેના સગા ગભરાઇ જાય છે અને તેમ થવું સ્વાભાવીક છે. આજે જો કે કેન્સરની સારવારમાં ઘણી પ્રગતી થઇ છે છતાં જોખમ ઓછું થયું નથી. સારવાર ઘણી મોંઘી છે તે વાતે પણ ચીંતા હોય છે.
દિન પ્રતિદિન કેન્સરનો ભોગ બનનારા નાગરીકોની સંખ્યા વધતી જાય છે તે હકીકત કોઈ નકારી શકે તેમ નથી. આ હકીકત તમામ નાગરીકો માટે ચીંતાનો વીષય છે. ચીંતા હોય ત્યાં ચીંતન અત્યંત જરુરી છે. આ ચીંતન સામુહીક સ્તરે થાય તો ભાગ લેનારા સૌને ફાયદો થાય.ઘણી નવી સમજ મળે અને સમજ વધતાં ડર ઓછો થાય. જે લોકો સમાજને દીશા આપનારા છે અને દોરનારા છે તે આવા ચીંતનમાં જોડાય તો સમાજને વીશેષ લાભ થાય. ઇતીહાસ સાક્ષી પુરે છે કે માનવ પ્રયાસોને કારણે રોગો પર કાબુ મેળવી શકાયો છે.
કેન્સરના કારણો સુધી આપણે પહોંચવું પડે અને કારણો પર અંકુશ મેળવી શકીએ તો કેન્સરનું પ્રમાણ જરુર ઘટાડી શકાય. સમસ્યાના મુળ સુધી પહોંચવું પડે. મુળમાં સડો છે કે કેમ અને હોય તો એ સડો દુર કરવો પડે. કેન્સરની સમસ્યાના મુળમાં ક્યાંક આપણી આસપાસનું પર્યાવરણ મહત્વનો ભાગ ભજવે છે તે હકીકત સ્વીકારવાની અને સમજવાની જરૂર છે.
સામાન્ય રીતે આરોગ્ય અન્ગેના પરીસંવાદો નીષ્ણાત તબીબો દ્વારા તબીબો માટે આયોજીત થતા હોય છે અને આમ લોકોને તેથી ઘણા દુર રાખવામાં આવે છે. આ પ્રકારની કોન્ફરન્સો દવાનું ઉત્પાદન કરતી કંપનીઓ પોતાના વ્યાવસાયીક હીતોને આગળ કરવા સ્પોન્સર કરતા હોય છે. આ એવી કોન્ફરન્સ નથી પણ લોકો માટે લોકો વડે આયોજીત પરીસંવાદ છે જેમાં લોકોના અનુભવોને પણ એટલું જ મહત્વ આપવામાં આવશે જેટલું નીષ્ણાતોને. આયોજનમાં લોકભાગીદારી મુખ્ય છે.
પરીસંવાદનું આયોજન કરનારાઓમાંથી કોઇના વ્યાવસાયીક હીતો જોડાયેલા નહોતા. કોઇ દવા બનાવતી કંપનીનો આયોજનમાં ફાળો નહોતો. વળી, સહભાગીઓ જ એ પણ નક્કી કરતા હતા કે કે આગળ પણ કશું કરવું છે. ગુજરાત વીધ્યાપીઠ ખાતે યોજાનારા બે દીવસના આ પરીસંવાદમાં નીચેની બાબતો પર ઉપલબ્ધ વર્તમાન રાષ્ટ્ટ્રીય માહિતી અને વીગતોની સમીક્ષા કરવામાં આવી:
· દેશમાં અને વીશ્વ સ્તરે કૅન્સરના પ્રમાણમાં શાથી સતત વધારો નોંધાઇ રહ્યો છે?
· અન્ય દેશોની સરખામણીમાં આપણા દેશમાં કૅન્સરની બાબતમાં શી પરીસ્થીતી પ્રવર્તે છે?
· અન્ય રાષ્ટ્ટ્રોની સરખામણીમાં આપણે ત્યાં કૅન્સરના પ્રકારોમાં કેમ અને કયા પ્રકારની ભીન્નતા જોવા મળે છે?
· દેશના જ જુદા જુદા ભાગોમાં કૅન્સર બાબતમાં કેવું ચીત્ર જોવા મળે છે?
· આપણો આહાર કૅન્સરમાં શી ભૂમીકા ભજવે છે?
· કૅન્સર ચેપી રોગ છે?
· તમાકુ અને શરાબની લતને કૅન્સર સાથે શું સંબંધ છે?
· માનસીક તણાવ કૅન્સરમાં શી ભુમીકા ધરાવે છે?
· જીવનશૈલી અને કૅન્સરની વચ્ચે શું સંબંધ છે?
· વાતાવરણીય પ્રદૂષણ અને કૅન્સર વચ્ચે શું કડી છે?
· વીકીરણો અને કૅન્સરની વચ્ચે કેવો સંબંધ છે?
· કૅન્સરના નીદાન માટે કયાં પરીક્ષણો ઉપયોગી છે?
—
*માનવીય ટેકનોલોજી ફોરમ, અમદાવાદ